
-આનંદ શુક્લ
આત્માની ઓળખ ભારતમાં એક આધ્યાત્મિક ઉદ્યમ માનવામાં આવ્યો છે. આત્માની ઓળખને અધ્યાત્મિકતાનું સર્વોચ્ચ શિખર ગણવામાં આવે છે, કારણ કે જીવ જ શિવ હોવાની ભારતમાં દ્રઢ માન્યતા પ્રવર્તે છે. ત્યારે સવાલ થાય કે આત્માની ઓળખ ન પામી શકેલા લોકો આત્માના સ્વરૂપની અભિવ્યક્તિ તરફ તિરસ્કાર કરે અને તેને ગાળો આપે, તો તેને શું ગણવું જોઈએ? આમ કરનારનું તે અજ્ઞાન છે કે તે તેનું દુર્ભાગ્ય છે? કદાચ બંને છે. આત્માની ઓળખ માટે ઘણાં મહાપુરુષો, ઋષિ-મુનિઓએ જીવન ખપાવી દીધા છે. આની ભારતમાં એક લાંબી પરંપરા છે.
આ તો વાત થઈ વ્યક્તિના આત્માની ઓળખની. પરંતુ હકીકત એ છે કે સમાજ અને રાષ્ટ્રનો પણ આત્મા હોય છે. સમાજ અને રાષ્ટ્રના આત્મારૂપ કંઈક એવું તત્વ હોય છે કે જે તેમને તમામ કાર્યો કરાવે છે. પરંતુ જ્યારે સમાજ અથવા રાષ્ટ્ર તેમના પોતાના સ્વત્વ અને આત્માના અવાજને ઓળખી શકતો નથી અથવા તેની અણદેખી કરે છે. તો તે સમાજ અને રાષ્ટ્ર દુર્ભાગ્યવશ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. ભારત પણ આવા સમાજનું બનેલું એક રાષ્ટ્ર છે કે જે પોતાના સ્વત્વ, પોતાના આત્માને ઓળખીને પણ ન ઓળખ્યુ કરે છે, જે પોતાના આત્માના અવાજને દબાવે છે, તેને નજરઅંદાજ કરે છે. તેના કારણે ભારત આજે દુર્ભાગ્યની ગર્તમાં ધકેલાયું છે. એલેકઝાન્ડરના આક્રમણ વખતે ભારતે પોતાના આત્માના અવાજને ચાણક્ય-ચંદ્રગુપ્તની પ્રેરણાથી જગાડવાનો સફળ પ્રયત્ન કર્યો હતો. સેલ્યુક્સ નિકટરને ભારતના એકચક્રી સમ્રાટ ચંદ્રગુપ્તે કારમી હાર પણ આપી હતી. ભારતના લોકોએ પોતાના રાષ્ટ્રત્વ અને રાષ્ટ્રના આત્માને વિસ્મૃત ન કર્યો ત્યાં સુધી ભારત પર આક્રમણ કરનારા શક, હુણ, કુષાણોને ભારતીય સંસ્કૃતિમાં આત્મસાત કરી લીધા.
પરંતુ ભારતના લોકોએ જ્યારે પોતાના રાષ્ટ્રત્વને ખોવાની અને સમાજ-રાષ્ટ્રના આત્માને વિસ્મૃત કરવાની શરૂઆત કરી ત્યારથી દુર્ગતિની શરૂઆત થઈ. ભારત પર મોહમ્મદ બિન કાસિમે સિંધમાં દાહિરસેનને મારીને આરબ-મુસ્લિમ સત્તા કાયમ કરી હતી. જો કે તેને ભારતમાં અન્ય જગ્યાએ આગળ વધવાનો માર્ગ મળ્યો ન હતો. પરંતુ ત્યાર બાદ કેટલીક સદીઓ બાદ મહોમ્મદ ગઝનવીના આક્રમણોની શરૂઆત થઈ અને બર્બર આક્રમણોમાં રાષ્ટ્રતત્વને વિસરેલા લોકોને હારનો સામનો કરવો પડયો હતો. તે વખતે રાષ્ટ્રના આત્માનો અવાજ હતો કે રાષ્ટ્ર એકજૂટ બને અને મહોમ્મદ ગઝનવીના આક્રમણોનો સામનો કરે. પણ રાષ્ટ્રતત્વથી વિસ્મૃત થયેલા રાજા-મહારાજાઓ ગઝનવીનો મુકાબલો કરી શક્યા નહીં. ગઝનવીએ પ્રાચીન સોમનાથ મંદિરનો ક્રૂરતાપૂર્વક વિધ્વંસ કર્યો અને તેના 17 આક્રમણોમાં લાખો હિંદુઓની કત્લેઆમ કરી.
ત્યાર બાદ મહોમ્મદ ઘોરીએ આક્રમણો ચાલુ કરીને ગઝનવીની પરંપરા આગળ વધારી. ભારતમાં મુસ્લિમ રાજ્યની સ્થાપના થઈ. આ કાળમાં સૌથી વધારે પ્રમાણમાં રાષ્ટ્રતત્વથી લોકો વિસ્મૃત બન્યા અને તેનું પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રના આત્માના અવાજને દબાવીને ઘણાં કા-પુરુષોએ મુસ્લિમ-મોગલ રાજને ટકાવી રાખ્યું. છેલ્લે અંગ્રેજોએ ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા વેપારની શરૂઆત કરી અને તેમણે અહીં સત્તાનો વેપાર પણ ચાલુ કર્યો. આ ગાળામાં દિગ્ભ્રમિત લોકોએ પોતાના રાષ્ટ્રતત્વનો ભયંકર અનાદર કર્યો. જેનું પરિણામ એ આવ્યું કે રાષ્ટ્ર-સમાજના આત્માનો અવાજ કહેવાતા સુધરેલા લોકોના પગ નીચે કચડાઈ ગયો. મહંમદ અલી ઝીણા નામના વટલાયેલા હિંદુ ઠક્કર વંશના નબીરાએ ભારતના વિભાજન માટે ખૂબ ખરાબ રાજનીતિ રમીને મોટી ભૂમિકા અદા કરી. રાષ્ટ્રના આત્માથી દૂર થયેલા લોકોએ રાષ્ટ્રવિભાજનની વાતો મંજૂર કરી અને 10 લાખથી વધારે લાશો સાથે ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા.
ભારતની આટલા વર્ષની યાતનાઓનું જો કોઈ કારણ હોય, તો તે છે- ભારતના આત્માને ભૂલાવી દેવો, તેના અવાજને દબાવી દેવો. આ વૃતિ હજી પણ ચાલુ છે. જે રાષ્ટ્રતત્વ કે જેને આપણે રાષ્ટ્રનો આત્મા કહીશું, તેની સૌથી પહેલી રાજકીય ઓળખ વીર સાવરકરે પોતાના પુસ્તક હિંદુત્વમાં 1923માં આપી. તેમણે ખુલીને કહ્યું કે હિંદુત્વ એ જ રાષ્ટ્રતત્વ છે. પરંતુ તેમની વાતને પંથ-સંપ્રદાય સાથે જોડીને કોમવાદીપણાની ગાળ આપવામાં આવી. તેમની વાત ન માનવાનું પરિણામ ભારતે ભાગલા થકી ચુકવવું પડયું છે.
ભારતમાં અનેક પંથ-સંપ્રદાય, ભાષા-બોલી, પહેરવેશ, રહેણી-કરણી છે. છતાં આ ભારતીય રાષ્ટ્રને જોડનાર કોઈ તત્વ હોય, તો તે આ દેશનો આત્મા, આ રાષ્ટ્રનું રાષ્ટ્રત્વ હિંદુત્વ છે. પરંતુ આ દેશમાં આઝાદી સમયથી હિંદુત્વની વાત કરનારા વ્યક્તિને કોમવાદી કહીને ઉતારી પાડવની સમાજવાદી-સામ્યવાદી અને ગાંધીવાદી ફેશન ચાલુ થઈ છે. આ ફેશનના પરિણામે ઈન્દિરા ગાંધીએ મુસ્લિમ વોટોની રાજનીતિ રમવા ભારતીય બંધારણના આમુખમાં સેક્યુલર અને સમાજવાદ બંને શબ્દો બંધારણીય સુધારા થકી ઉમેરાવ્યા છે. પરંતુ ત્યારે સવાલ એ છે કે નખશીખ સેક્યુલર એવા હિંદુત્વનું પાશવી પક્ષપાતી અર્થઘટન અને વોટબેંકની રાજનીતિ રમાનારાઓની વિકૃત વિચારસરણીને સેક્યુલારિઝમનું નામ આપવું, એ ભારતના રાષ્ટ્રત્વ અને ભારતના આત્માને મારી નાખવાનું કામ નથી? આઝાદીની 64મા વર્ષે વિચારવાનો વખત આવી ગયો છે કે ભારત શા માટે હજી ખરા અર્થમાં ભારત બની શક્યું નથી? આ આત્મવિશ્લેષણ અને આત્મચિંતન માટે તૈયાર થાય તેવા દેશના દેશહિતચિંતક રાજપુરુષો કેટલા?
હિંદુત્વના મુદ્દાઓ સંપૂર્ણપણે રાષ્ટ્રીય મુદ્દાઓ છે. જો કે આવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર રાજનીતિનો નિર્લજ્જ પ્રયાસ પણ થયો છે. રામજન્મભૂમિ આંદોલન થકી રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણના મુદ્દા પર દેશમાં ઉઠેલા લોકજુવાળને કારણે સત્તાના શિખરો સુધી ઘણાં લોકો પહોંચી ગયા છે. પરંતુ હિંદુત્વ થકી, રામ થકી સત્તાના શિખરો પર પહોંચેલા લોકોએ હિંદુત્વને વિસારી દીધું. તેમણે વિકાસના મુદ્દા થકી અલગ પ્રકારની રાજનીતિ આરંભી દીધી. પોતાના જનાધારને વધારવાની મોટી શેખીઓ મારી. પરંતુ હકીકત એ છે કે આવી કોઈ શેખી સાચી નથી. હિંદુઓ આ દેશની વસ્તીના 83 ટકા જેટલા છે. હિંદુત્વના અવાજથી રામલહેર પર બેસીને સત્તામાં પહોંચનારા લોકોની પહોંચ 83 ટકા વસ્તી ધરાવતા હિંદુ સમાજમાં પણ અંદર સુધી નથી. પરંતુ તેમને 13 ટકા વસ્તીવાળા મુસ્લિમોના થોકબંધ વોટની બેંક કબજે કરવી છે. જેના કારણે તેમણે આ દેશની આત્મા સાથે જોડાયેલા હિંદુત્વના મુદ્દા રામમંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવી અને સમાન નાગરીક ધારાના મુદ્દે બાંધછોડ કરી છે. હવે આ મુદ્દાઓ તેમણે કોલ્ડ બોક્ષમાં મૂકી દીધા છે. પરંતુ રાજનીતિનું હિંદુકરણ અને હિંદુઓનું સૈનિકીકરણ કરવા માટે આહવાન કરનારા સાવરકરની વાતને ભૂલાવી દઈને રાજનીતિના હિંદુકરણને રોકવાનું એક મહાપાપ થયુ છે. જેનું પરિણામ દેશમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, ભૂખ, ગરીબી, બેરોજગારી, હિંસાચાર, કોમવાદ, કટ્ટરવાદ, મોંઘવારી જેવી સમસ્યાઓ થકી દેશના નાગરીકોને ચુકવવું પડે છે.
ભારતમાં અત્યારે વિચિત્ર પરિસ્થિતિ છે. દેશના રાજકારણીઓ દેશના લોકોની ભાવના પ્રમાણે ચાલી રહ્યાં નથી. કારણ કે દેશના નાગરીકોની ઈચ્છા, અભિવ્યક્તિ અને મહત્તા ઘણી અલગ છે અને રાજકારણીઓ તેમના પર થોપી રહ્યાં છે, તે બાબતો ઘણી અલગ છે. ત્યારે ક્યારેક સવાલ પણ ઉભો થાય છે કે આ તે કેવી વ્યવસ્થા છે કે જે વ્યવસ્થા અંતર્ગત ભારતના લોકોની ભાવનાઓ પ્રતિબિંબિત, પરિલક્ષિત અને પરિપૂર્ણ થવા માટેની કોઈપણ પ્રકારની તક બાકી રાખવામાં આવી ન હોય? આ કેવું લોકતંત્ર છે કે જેમાં લોકોનું કોઈ તંત્ર જ નથી અને રાજકારણીઓ પોતાની મેળે જ પોતાના હિતને અનુકૂળ વ્યવસ્થા અને રાજનીતિ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરીને ભ્રમિત કરી રહ્યાં છે. ત્યારે વખત છે, આ દેશની સમસ્યાના ઉકેલ માટે રાજકારણીઓ દ્વારા સર્જવામાં આવેલી ભ્રમણામાંથી બહાર આવવાનો. આ વખત છે, દેશના આત્માને ઓળખવાનો, દેશના આત્માના અવાજને બરાબર સાંભળીને તેના બતાવેલા માર્ગે આગળ વધવાનો. હિંદુત્વ કે જે રાષ્ટ્રત્વ છે, તેને કોમવાદી કહેનારાઓને દેશદ્રોહી કેમ ન કહેવા જોઈએ? હિંદુત્વને ઉતારી પાડીને તેને આતંકવાદ સાથે જોડનારા લોકોને નપાવટ કેમ ન કહેવા જોઈએ? લશ્કરે તોઈબા કરતાં પણ હિંદુત્વની વિચારધારા પર ચાલનારા આરએસએસને ખતરનાક કહેનારા વ્યક્તિની શાન ઠેકાણે લાવવા માટે શા માટે સમાજના સ્તરે પ્રયત્ન ન થવા જોઈએ? હિંદુત્વવાદી હોવું કોઈ ગુનો છે? શું હિંદુત્વવાદી હોવું આધુનિકતા, વિકાસ અને માનવતાની વિરુદ્ધ હોવાની વાત છે? દરેક શિખામણો હિંદુત્વને ઓળખનારાઓને જ શા માટે આપવામાં આવે છે?
હિંદુત્વ રાષ્ટ્રનો પ્રકાશપુંજ છે, ત્યારે હિંદુત્વવાદી હોવું કોઈ ગુનો હોય, તો તે ગુનો આખા હિંદુ સમાજે રાષ્ટ્રહિતમાં કરવા જેવો છે. કારણ કે હિંદુત્વવાદી હોવાનો ગુનો કરવાથી ભારત પર કોઈ એલેકઝાન્ડર પગ નહીં મૂકી શકે, દેશની ધરતીને તેના સપૂતોના લોહીથી કોઈ ગઝનવી ખરડી નહી શકે, કોઈ ઘોરી આ પુણ્યભૂમિને પદાક્રાંત કરી શકશે નહીં, કોઈ બાબર રામજન્મભૂમિ તોડી નહીં શકે, કોઈ ઝીણા આ દેશના ફરીથી ભાગલા કરી નહીં શકે, કોઈ અફઝલ અને કસાબ ભારત પર આતંકવાદી હુમલો નહીં કરી શકે.